ગુજરાત સરકારના સોશિયલ જસ્ટીસ અને એમ્પાવરમેન્ટ વિભાગ દ્વારા પોરબંદરની જીલ્લા કમિટીના સદસ્ય તરીકે કુતિયાણાના યુવા અગ્રણી અને એડવોકેટ શ્રી નેભાભાઇ પરમારની નિમણુક કરવામાં આવી છે. રાજયમા સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ બાળકો માટેની વિવિધ યોજનાઓને એક છત્ર નીચે લઇ જવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં અનાથ નિરાધાર રખડતા ભટકતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાયદા હેઠળ સુરક્ષા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ની જોગવાઇઓ મુજબ આપવામાં આવે છે. ભારત સરકારની સંકલીત બાળ સુરક્ષા યોજના હેઠળ રાજયકક્ષાએ બાળકોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા એકમ અને જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ હાલમાં કાર્યરત છે. બાળ કલ્યાણ ક્ષેત્રે અનાથ નિરાધાર રખડતા ભટકતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોના રક્ષણ આશ્રય માટે કાર્યરત હાલ કુલ : ૧૨૬ સંસ્થાઓની નોંધણી જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ની કલમ ૪૧ (૧) ની જોગવાઇઓ મુજબ થયેલ છે. જેમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો માટે ૦૩ સરકારી અને ૦૩ બીન સરકારી (ગ્રાન્ટ ઇન એઇડ ) ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કાર્યરત છે. જેમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના આદેશથી બાળકોને રાખવામાં આવે છે. રાજ્યમાં ૭ થી ૧૮ વર્ષના અનાથ અને નિરાધાર બાળકો માટે ૨૬ સરકારી ચિલ્ડ્રન હોમ અને ૨૪ બીન સરકારી (ગ્રાન્ટ ઇન એઇડ ) ચિલ્ડ્રન હોમ અને ૫૧ સ્વૈચ્છિક(અનુદાન ન મેળવતી) હાલમાં કાર્યરત છે. તેમજ ૦ થી ૬ વર્ષના અનાથ અને ત્યજાયેલા બાળકો માટે ૦૮ સરકારી શિશુગૃહ (SAA) અને ૦૫ બીન સરકારી (ગ્રાન્ટ ઇન એઇડ ) શિશુગૃહ (SAA) અને ૦૩ સ્વૈચ્છિક (અનુદાન ન મેળવતી) શિશુગૃહ કાર્યરત છે. જેમાં રક્ષણ અને સંભાળની જરૂરિયાતવાળા બાળકોને ચિલ્ડ્રન હોમમાં ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી રાખવામાં આવે છે. રાજયમાં કુલ ૩૫ સરકારી અને ૩૬ બીન સરકારી (ગ્રાન્ટ ઇન એઇડ )તથા ૫૫ સ્વૈચ્છિક (અનુદાન ન મેળવતી) સંસ્થાઓ દ્વારા એમ કુલ ૧૨૬ બાળ કલ્યાણ સંસ્થાઓ કાર્યરત છે. બાળ કલ્યાણ સંસ્થાઓમાં બાળકોને મફત રહેવા જમવાનું ,આરોગ્યપ્રદ સુવિધાઓ અને શિક્ષણ અને જીવનલક્ષી તાલીમ આપવામાં આવે છે. રાજયમાં દિકરીઓ માટે વડોદરા ખાતે પ્લેસ ઓફ સેફટી / સ્પેશ્યલ હોમ તથા છોકરાઓ માટે રાજકોટ અને મહેસાણા ખાતે ચાલે છે. તેઓ ત્યાં રહે તે દરમ્યાન તેમનું કુટુંબ, સામાજિક જીવન, ઇતિહાસ વગેરે એકત્ર કરવામાં આવે છે. અને તેમની યોગ્ય કાળજી લેવાના પ્રયાસો કરવામાં આવે છે. આ બાળકો પૈકી જેમને સંસ્થાકીય જીવનની જરૂરિયાત જણાય તેમને સંસ્થાકીય આશ્રય આપી સ્પેશ્યલ તાલીમ આપવામાં આવે છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના ન્યાય અને નિર્ણય માટે રાજયમાં કુંલ ૩૩ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી તથા કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકોના ન્યાય અને નિર્ણય માટે કુંલ ૨૯ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી તથા કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકોને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના આદેશથી સંસ્થામાં પ્રવેશ આપવામાં આવેલ છે. સંસ્થામાં બાળકોને પ્રવેશ સમયે મેડિકલ કરાવવામાં આવે છે. સંસ્થામાં તાત્કાલિક વૈદકીય સારવાર મળી રહે તે હેતું થી જિલ્લાઓમાં સંસ્થાઓ ધ્વારા નજીકના સિવીલ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટરો અને નજીકના સરકારી હોસ્પિટલો ધ્વારા મેડિકલ સારવાર લેવામાં આવે છે. તથા જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ આરોગ્ય પ્રદ જમવાનું આપવામાં આવે છે. હાલ રાજ્યમાં ચિલ્ડ્રન હોમ, ઓબ્ઝર્વેશન હોમ, પ્લેસ ઓફ સેફ્ટી, સ્પેશ્યલ એડોપ્શન એજન્સી(શિશુગૃહ), સ્પેશ્યલ હોમ ઓપન શેલ્ટર હોમ,ઘોડીયાઘર વિગેરે પ્રકારની સરકારી અને સ્વૈચ્છિક બાળ કલ્યાણ સંસ્થાઓ કાર્યરત હોવાનું અને જરૂરીયાતમંદ બાળકો માટે જીલ્લા કમિટીનો સંપર્ક કરવા શ્રી નેભાભાઇ પરમારની યાદીમાં જણાવ્યું છે.

No Comments