તા. ૨૪/૦૫/૨૦૨૬, રવિવારની રાત્રે વડોદરા શહેરમાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને મેર સમાજની વિરાસત સમાન પરંપરાગત “મણીયારો રાસ”નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સપના ના વાવેતર હોલ, લક્ષ્મીપુરા ખાતે રાત્રે ૧૦ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં મેર સમાજના યુવાનો દ્વારા પરંપરાગત ઢબે લોકનૃત્યની અદભુત રજૂઆત કરવામાં આવશે.

મણીયારો રાસ માત્ર નૃત્ય નહીં પરંતુ મેર સમાજની શૌર્યગાથા, એકતા, સંસ્કૃતિ અને લોકજીવનનું જીવંત પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલે, પરંપરાગત પહેરવેશમાં કલાકારો જ્યારે ઉર્જાસભર પ્રદર્શન કરે છે ત્યારે દર્શકોમાં પણ અનોખો ઉત્સાહ અને ગૌરવની લાગણી જન્મે છે. આજના આધુનિક યુગમાં લોકસંસ્કૃતિને જીવંત રાખવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.

વિશેષ નોંધનીય બાબત એ છે કે મેર સમાજના મણીયારો રાસને આજે રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી રહી છે. અનેક વ્યાવસાયિક ટીમો દ્વારા દેશ-વિદેશના વિવિધ મંચો પર આ લોકનૃત્યની રજૂઆત થઈ રહી છે અને ગુજરાતની લોકકલાને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે. આજના યુવાનોમાં લોકકલા પ્રત્યે રસ વધે અને સમાજની ઐતિહાસિક પરંપરાઓ જીવંત રહે તે માટે આવા આયોજનો ખૂબ જરૂરી બન્યા છે.

આ કાર્યક્રમનું આયોજન મહેર સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં વસતા તમામ સમાજજનો, લોકકલા પ્રેમીઓ અને યુવાનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

“મણીયારો રાસ”ના આ સાંસ્કૃતિક મહોત્સવ દ્વારા સૌરાષ્ટ્રની લોકપરંપરા અને મેર સમાજની આગવી ઓળખને નવી પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Sukalp Magazine