- Home
- Uncategorized
- મેર સમાજની ...

ખુદની એરક્રાફ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે મનાલી ઓડેદરા…
જામનગરના એક ઉદ્યોગપતિએ જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે એરક્રાફ્ટ હાયર કર્યું. દુબઈના એક આરબે બાજને ટ્રાન્સપોર્ટ કરવા માટે પેટ-ફ્રેન્ડલી એરક્રાફ્ટ પસંદ કર્યું. એક વ્યક્તિએ મુંબઈથી દુબઈ પોતાના ત્રણ ડોગ્સ અને કેરટેકર માટે ચાર્ટર બુક કરાવ્યું હતું. સિંગર બ્રાયન એડમ્સ પોતાના વિશાળ કદના ઇન્સ્ટ્રુમેન્ટ માટે કાર્ગો કરે છે. પોતાના ખુદના પ્રાઇવેટ જેટમાં સેલિબ્રિટી અહીં-તહીં અવરજવર કરે તે વાત સામાન્ય માણસે સાંભળી હોય, પરંતુ આ દુનિયા ખૂબ અચરજ પમાડે તેવી છે.
આ અનોખી દુનિયામાં પોતાની મહેનત અને આત્મવિશ્વાસ વડે સફળતાનાં પગથિયાં ચઢ્યાં છે મૂળ બખરલા/ રાણાવાવના વતની અને હાલ વડોદરા સ્થિત શ્રી લક્ષ્મણભાઈ ઓડેદરા અને શ્રીમતી કુસુમબેન ઓડેદરાની પુત્રી મનાલી ઓડેદરા, જે પોતાની પ્રાઇવેટ એરક્રાફ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે અને દેશભરની સેલિબ્રિટીઓને ચાર્ટર પ્લેનમાં સફર કરાવે છે.
આ ક્ષેત્રમાં કામ કરીને નામ કમાનાર મનાલી ઓડેદરા માટે અહીં સુધી પહોંચવું સહેલું નહોતું. વિસાવદરમાં જન્મ અને શાળાકીય અભ્યાસ રાજકોટની નિર્મલા સ્કૂલમાં કર્યો તેમજ વડોદરામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં સેલ્સ અને માર્કેટિંગમાં એમબીએ કર્યા બાદ જુદી જુદી જગ્યાએ નોકરી માટે અરજી કરી અને એડ ચાર્ટર સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કોલ આવ્યો. એવીએશન કંપની હતી, પરંતુ કામ સેલ્સ અને માર્કેટિંગનું હતું.
સિલેક્ટ થયા બાદ ટ્રેનિંગ, ઇન્ટરવ્યૂ તેમજ પરીક્ષા કઠિન હતી. પસંદગી થયા પછી લગભગ છ મહિનાની એરક્રાફ્ટ ગ્રાઉન્ડ ટ્રેનિંગમાં ઓન-ગ્રાઉન્ડ અને એવિએશન સંબંધિત તમામ તાલીમ પૂર્ણ કરી. મુંબઈ શહેરમાં નોકરીમાં જોડાઈ. મુંબઈ જેવી નવી જગ્યા, લોકોનો પ્રોફેશનલ અભિગમ, નવી નોકરીમાં ડગલે ને પગલે પ્રેશર, ટાર્ગેટ પૂરા કરવા, એક મહિનામાં બાર પંદર લાખનો બિઝનેસ લાવવાનો વગેરે પડકારો વચ્ચે તેમણે પોતાની જવાબદારી નિભાવી.
અત્યાર સુધીમાં તેમણે અનેક સેલિબ્રિટી સાથે કામ કર્યું છે, જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, ફિલ્મ સ્ટાર ઋત્વિક રોશન, રણબીર કપૂર, વરુણ ધવન, પ્રીતિ ઝિન્ટા, બચ્ચન પરિવાર તેમજ જાણીતા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે.
આ કામ દેખાય છે એટલું સહેલું નથી. મનાલીએ જણાવ્યું કે ઘણી વખત ડિપાર્ચર પહેલાં કોઈ ટેકનિકલ ખામી આવે, બેગેજ વધુ હોય અથવા છેલ્લી ઘડીએ અણધારી પરિસ્થિતિ સર્જાય તો તરત જ બીજા વિકલ્પો વિચારવા પડે. ક્લાયન્ટને હેરાનગતિ ન થાય, સમય બગડે નહીં, તે માટે ત્વરિત નિર્ણય લેવો જરૂરી હોય છે. સામાન્ય રીતે એડવાન્સમાં જ બુકિંગ થઈ જતું હોય છે, છતાં ઇમરજન્સીમાં પણ બુકિંગ કરાવવું પડતું હોય છે. એક વખત મને રાત્રે ત્રણ વાગ્યે ફોન આવ્યો અને સવારે આઠ વાગ્યે ડિપાર્ચર કરાવ્યું. ડિપાર્ચર કરતા પહેલાં કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય તો પેનિક થયા વગર બીજા વિકલ્પો વિચારી, ક્લાયન્ટને હેરાનગતિ ન થાય તે રીતે ત્વરિત નિર્ણય લેવા પડતા હોય છે.
હમણાં થોડા સમય પહેલાં જ દુબઈમાં ફસાયેલા ભારતીયો ખાસ જેમાં ઘણા બધા ગુજરાતીઓ પણ હતા તેઓને ચાર્ટર પ્લેન દ્વારા અહીં દેશમાં અને ગુજરાતમાં લાવવામાં મનાલીએ ખુબ જહેમત ઉઠાવી હતી. દુબઈથી બાય રોડ મસ્કત અને ત્યાંથી અમદાવાદ પહોંચાડ્યા હતા. સામાન્ય રીતે કંપનીમાં પ્રાઇવેટ એવિએશન, કોમર્શિયલ બુકિંગ અને કાર્ગો માટે બુકિંગ થતું હોય છે. તેમાં પ્રાઇવેટ એવિએશન વ્યક્તિગત રીતે બુક થાય છે. કોમર્શિયલ બુકિંગમાં ડેસ્ટિનેશન વેડિંગ જેવા પ્રસંગોમાં 100 થી 180 ક્ષમતા ધરાવતા મોટા એરક્રાફ્ટ બુક કરવામાં આવે છે. કાર્ગો જરૂરિયાતના સામાન માટે હોય છે. લાઈવ એનિમલ મૂવમેન્ટ પણ કાર્ગોમાં જ થાય છે.
પોતાની સફળતા બાબતે મનાલીએ જણાવ્યું હતું કે માતા કુસુમબેન ઓડેદરા અને પિતા લક્ષ્મણભાઈ ઓડેદરા કે જેઓ વ્યવસાયે એન્જીનીયર હતા તેઓએ બંને ભાઈ-બહેનને સારામાં સારું શિક્ષણ આપ્યું અને પગભર કર્યા. મનાલીનો ભાઈ કૃણાલ પણ ખુબ ઉચ્ચ શિક્ષણ મેળવી અમેરિકામાં HP કંપનીમાં Senior UX Designer તરીકે કાર્ય કરે છે. ઇન્ટરવ્યૂ માટે કે અભ્યાસ માટે બહાર જવાનું થતું ત્યારે ડગલે ને પગલે માતાનો સાથ મળતો રહ્યો, જેના કારણે આજે અહીં સુધી પહોંચી છું. છેલ્લા એક દાયકામાં અનેક સેલિબ્રિટી માટે ચાર્ટર બુક કરનાર મનાલીનું સ્વપ્ન વડાપ્રધાન મોદી અને શશિ થરૂર સાથે કામ કરવાનું છે.
રતન ટાટાએ જ્યારે ક્રિકેટર રોહિત શર્મા માટે પોતાનું એરક્રાફ્ટ આપ્યું
આ એક યાદગાર ઘટના બાબતે મનાલીએ કહ્યું કે 2020ની સાલનો જાન્યુઆરી મહિનો હતો. ક્રિકેટર રોહિત શર્માને મુંબઈથી રાજકોટ મેચ માટે પહોંચવાનું હતું. આ માટે તેણે ચાર્ટર પ્લેન બુક કર્યું. સાંજે નીકળવાનું હતું અને એ માટે સવારે જે એરક્રાફ્ટ આવવાનું હતું તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ. હવે આ ચાર્ટર પ્લેનના વિકલ્પ તરીકે અન્ય ચાર્ટર પ્લેન તૈયાર રાખવું જરૂરી હતું.
મને જાણ થઈ કે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા પોતાના નાઇટ સ્ટે માટે મુંબઈમાં એ જ દિવસે લેન્ડ થવાના હતા. તેમના ડિરેક્ટરનો સંપર્ક કર્યો. ભારતીય ક્રિકેટર પોતાના સમય પ્રમાણે મેચમાં પહોંચી શકે તે માટે રતન ટાટાએ જાતે પોતાના ટાઈમટેબલમાં ફેરફાર કરી એક કલાક વહેલા પહોંચી પોતાનું એરક્રાફ્ટ ક્રિકેટર માટે આપ્યું. આ ઘટના આંખમાં આંસુ લાવનાર હતી. તેથી ખાસ આભાર માનવા હું ત્યાં હાજર રહી અને જ્યારે મેં થેન્ક યુ કહ્યું ત્યારે રતન ટાટા મોઢા પર સ્માઈલ સાથે સહજતાથી “નો પ્રોબ્લેમ બેટા” કહીને નીકળી ગયા.
કેવી રીતે હોય છે પ્રાયવેટ એરક્રાફ્ટનું બુકિંગ
છ વર્ષ નોકરી કરીને હાલ પોતાની કંપની શરૂ કરનાર મનાલીએ જણાવ્યું કે જે લોકોને પોતાનું ચાર્ટર પ્લેન હોય અને જ્યારે તેઓ પોતે ફ્લાય ન કરતા હોય ત્યારે તે બીજાને ભાડે આપે છે, જેને ઓનર-બેઝ કંપની કહેવાય. આ ઉપરાંત એવિએશન ડિપાર્ટમેન્ટ પાસેથી એરક્રાફ્ટ ઉપલબ્ધ હોય તે પણ ભાડે લઈ શકાય.
સૌપ્રથમ ડિપાર્ચર પહેલાં એવિએશન એન્જિનિયર એક કલાક પહેલા એરક્રાફ્ટ ચેક કરે, બધું બરાબર છે એમ સહી કરીને મંજૂરી આપે છે. ઓનર-બેઝ કંપની પાસે પોતાનો સ્ટાફ તેમજ અન્ય સુવિધા હોય છે, તેથી તે વધુ અનુકૂળ રહે છે. આ કંપનીના ઓનર પોતાની શરત મુજબ એરક્રાફ્ટ આપે છે, જેમ કે નોનવેજ ફૂડ્સ નહીં, સ્મોકિંગ નહીં કરવું વગેરે.
જેમ અલગ અલગ કારમાં અલગ અલગ સુવિધા હોય છે, એ જ રીતે એરક્રાફ્ટમાં 6-સીટરથી લઈને 16-સીટર સુધી હોય છે. સામાન્યથી લઈને લક્ઝુરિયસ એરક્રાફ્ટ પણ હોય છે, જેમાં ચાર સીટ ડાઇનિંગ ટેબલ, કાઉચને બેડમાં ફેરવી શકાય, વોશરૂમ વગેરે સુવિધા હોય છે. સામાન્ય એરક્રાફ્ટ હોય અને અડધી કલાકનો ફ્લાઇટ ટાઈમ હોય તો ₹7,00,000 પ્લસ GSTથી શરૂઆત થાય અને સમય તથા અંતર પ્રમાણે આ દર વધતો જાય. અમદાવાદથી જર્મની નવ કલાકની લાંબી ફ્લાઇટ જતી હોય તો તેની કિંમત એકાદ કરોડને પાર થઈ જાય છે.








