સમગ્ર વિશ્વમાં મહેર સમાજ અને એ મહેર સમાજની આગવી ઓળખ ધરાવનાર તેમજ મહેર સમાજમાં શિક્ષણની જ્યોત જગાવનાર સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા શિક્ષણદિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ અને તે જ આશયથી બરડા પંથક તેમજ ઘેડ પંથકની ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ ગ્રામ્ય કક્ષાએ શિક્ષણનું સ્તર ઊંચું આવે અને મહેર જ્ઞાતિના બાળકો ઊંચા શિખરો સર કરે તે હેતુથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ માલદેવ બાપુના આ સ્વપ્નને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહી છે અને પૂજ્ય માલદેવ બાપુના આ સ્વપ્નને સાકાર કરવાનું કામ કરી રહી છે. પૂજ્ય માલદેવ બાપુની 60 મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ માર્ગદર્શિત ગ્રામ્ય કક્ષાની ખાનગી પ્રાથમિક શાળાઓ જેવી કે શ્રી સર્વોદય પ્રાથમિક શાળા ગરેજ, શ્રી ટીકુ પ્રાથમિક શાળા સોઢાણા અને શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા, ફટાણા આ ત્રણેય શાળાઓમાં પૂજ્ય માલદેવ બાપુની 60 મી પુણ્યતિથિ નિમિત્તે સર્વ આચાર્યશ્રીઓ,સર્વે શિક્ષકો તથા સર્વે વિદ્યાર્થીઓએ પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવાંજલિ પાઠવી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
પૂજ્ય માલદેવ બાપુની 60 મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા સર્વ ઉપપ્રમુખશ્રીઓ તથા સર્વે સભ્યશ્રીઓ તમામ શાળાઓના ટ્રસ્ટીઓએ બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રીઓ દ્વારા માલદેવ બાપુ નું જીવન ચરિત્ર,તેમનો સમાજમાં ફાળો અને ખાસ કરીને શિક્ષણ કે જે માલદેવ બાપુનું કેન્દ્ર બિંદુ રહ્યું છે તેના વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમ અને શિક્ષણ પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.



No Comments