મહેર સમાજના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૪૧મી જન્મજયંતિ નિમિતે તા.૦૪-૦૮-૨૦૨૫ના રોજ સવારે ૯-૦૦ કલાકે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પોરબંદરના એરપોર્ટ રોડ સ્થિત શ્રી મહેર વિદ્યાર્થી ભવનના નામાંકરણ તથા હરીશ ટોકીઝ સર્કલ પાસે તેમજ ઝુંડાળા મહેર સમાજ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.
પૂજય માલદેવ બાપુએ મહેર સમાજના સર્વાંગી વિકાસ અર્થે શરૂ કરેલ પ્રયાસોમાં જ્ઞાતિના શૈક્ષણિક વિકાસના પાયારૂપ કાર્યોને આગળ ધપાવવા ડો.વિરમભાઇ ગોઢાણીયા તેમજ આફ્રિકા નિવાસી ભાઈઓના સહકારથી પોરબંદર ખાતે માધવાણી કોલેજ સામે મહેર વિદ્યાર્થી ભવનની ૧૯૮૮માં સ્થાપના કરવામાં આવેલ હતી. જેમાં મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ રહી પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. આ મહેર વિદ્યાર્થી ભવન બિલ્ડીંગની જાળવણી, રીપેરીંગ કામ તેમજ ભવિષ્યમાં નવા બિલ્ડીંગની જરૂરિયાત ઉભી થાય એવા શુભ હેતુથી જ્ઞાતિજનો પાસેથી ભંડોળ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવેલ છે અને આ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ, શ્રી માલદેવ રાણા મહેર અજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા તેમજ અન્ય સંસ્થાઓ તથા જ્ઞાતિજનોના સહકારથી આ કાર્ય શરૂ કરવામાં આવેલ. શ્રી મહેર વિદ્યાર્થી ભવન તથા જ્ઞાતિ ભવન ટ્રસ્ટ બોર્ડની મીટીંગમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ પૂર્વ કેબીનેટમંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયાના અધ્યક્ષસ્થાને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ મહેર વિદ્યાર્થી ભવનનું નામાંકરણ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. જેના અનુસંધાને તા.૦૪ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ પૂજય માલદેવ બાપુની ૧૪૧મી જન્મ જયંતિના દિવસે આ નામાંકરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો, મહેર જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ હોદેદારો, મહેર સમાજના સામાજિક રાજકીય આગેવાનો, તાલુકા – જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, મહેર સમાજના ડોક્ટરો, વકીલો,વિવિધ વિભાગના અધિકારી તેમજ કર્મચારીગણ, શિક્ષકો, તલાટીશ્રીઓ અને કાર્યકતાઓને બહોળી સંખ્યામાં હાજર રહેવા શ્રી મહેર વિદ્યાર્થી ભવનના પ્રમુખ અને પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયાએ અનુરોધ કર્યો છે.
કાર્યક્રમની સમય સૂચિ તા.૦૪-૦૮-૨૦૨૫, સોમવાર
(1) નામાંકરણ:
સમય : સવારે 9-00 કલાકે
સ્થળ: શ્રી મહેર વિદ્યાર્થી ભવન, માધવાણી કોલેજ સામે , એરપોર્ટ રોડ, પોરબંદર.
(2) પુષ્પાંજલિ:
સમય : સવારે 11-00 કલાકે
સ્થળ: પૂજ્ય બાપુની પ્રતિમા, હરિશ ટોકીઝ પાસે, પોરબંદર.
(3) પુષ્પાંજલિ:
સમય : સવારે 12-00 કલાકે
સ્થળ: ઝુંડાળા મહેર સમાજ, પોરબંદર.
ઉપરોક્ત કાર્યક્રમોમાં સર્વે જ્ઞાતિજનોને હાજરી આપવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ (ઝુંડાળા) અને શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

No Comments