શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ માર્ગદર્શિત ગ્રામ્ય વિસ્તારની ફટાણા , સોઢાણા તથા ગરેજ ખાતે ચાલતી પ્રાથમિક શાળાઓના શિક્ષકગણ માટે એકદિવસીય શૈક્ષણિક તાલીમ શિબિર શ્રીમતિ માલીબેન રાણાભાઈ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા ફટાણા ખાતે યોજાઈ. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા તેના મુખ્ય શૈક્ષણિક ઉદ્દેશને ચરિતાર્થ કરવાના આશયથી પોરબંદર બરડા તેમજ ઘેડ વિસ્તારમાં સ્થાનિક સંસ્થાના સહયોગથી શાળાઓમાં માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહી છે. ગુણવતાયુક્ત શિક્ષણ માટે કાર્યરત છે. જેના ભાગરૂપે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા દ્વારા કેળવણી નિરીક્ષકની નિમણૂંક કરી આ શાળાઓના શૈક્ષણિક વિકાસ હેતુ નિયમિત માર્ગદર્શન વિઝિટ કરવામાં આવે છે. હાલના સમયમાં નવી શિક્ષણ નીતિ તેમજ સાંપ્રત સમયની માંગને ધ્યાનમાં રાખી શાળાના શિક્ષકોને માહિતગાર રાખવા તેમજ તેમના જ્ઞાનને વધુ કાર્યક્ષમ બનાવવાના શુભ આશયથી નિયમિત રીતે શાળાના શિક્ષકો માટે શૈક્ષણિક માર્ગદર્શક શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અનુસાર તા.૦૪-૦૫-૨૦૨૫ ના રોજ એક દિવસીય શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.આ શિબિરમાં શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા-ફટાણા, શ્રી ટીકુ પ્રાથમિક શાળા-સોઢાણા તેમજ શ્રી સર્વોદય પ્રાથમિક શાળા ગરેજના શિક્ષકો માટે એક શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરની શરૂઆત માં સરસ્વતીની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રજવલિત કરી શુભ શરૂઆત કરવામાં આવેલ હતી. આ શૈક્ષણિક શિબિરના તજજ્ઞશ્રીઓ શ્રી પોપટભાઈ ખુંટી, શ્રી રામભાઈ ભુતીયા, શ્રી સહદેવસિંહ જેઠવાએ શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પોપટભાઈ ખુંટીએ શિક્ષકોને વર્તમાન વિદ્યાર્થીઓ કેવા હોય છે અને તેમને કેવી કેળવણીની જરૂર છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી રામભાઈ ભૂતિયાએ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે નવા સુધારાઓ શિક્ષણનીતિમાં કરવામાં આવ્યા છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને છેલ્લે શ્રી સહદેવસિંહ જેઠવાએ શિક્ષકોને વિષય પ્રત્યેનું ઊંડું જ્ઞાન,વાંચન, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રશ્નોત્તરી તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોની શું ભૂમિકા હોય છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આ કાર્યક્રમમાં ત્રણેય શાળાઓનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમજ શ્રીમતિ માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા શાળાના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફટાણા સ્કૂલના આચાર્ય શ્રી હિતેશગીરી અપારનાથી તથા આભારવિધિ કેળવણી નિરીક્ષક શ્રી રાજુભાઈ મોઢવાડિયાએ કરી હતી.



No Comments