પોરબંદર શહેરના પ્રસિદ્ધ ચૌપાટી મેદાન ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના આયોજન હેઠળ પોરબંદર ખાતે યોજાઇ રહેલા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયા ભાઈ-બહેનોએ પરંપરાગત વેશભૂષામાં મણિયારો અને રાસડા રમીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
કાર્યક્રમનું આયોજન
દર વરસે આ મહોત્સવના પાંચમા નોરતે આપણી જ્ઞાતિના પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા રમવાની પરંપરા રહી છે જે અંતર્ગત પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થયેલા સમાજના યુવક-યુવતીઓએ ઉમંગભેર મણિયારો અને રાસડા રમ્યા હતા. ખાસ કરીને પરંપરાગત આભૂષણોથી સજ્જ બહેનો પરંપરાગત ઘાંસિયું, ઢારવો અને કાપડાં અને ભાઈઓ આંગડી અને ચોરણી પહેરી રમ્યા હતા.
પરંપરા અને શ્રદ્ધા
આપણા સમાજે હંમેશાં માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધાને જાળવી રાખી છે. આ નવરાત્રી મહોત્સવમાં પણ સમાજના લોકોએ માતાજીના ગીતો પર ઝૂમી ઝૂમીને નૃત્ય કર્યું. પરંપરા અનુસાર સૌએ એક સાથે મણિયારો રાસડા રમતા સુંદર દ્રશ્યો સર્જાયા હતાં. કાર્યક્રમના પ્રારંભે ખાસ આરતી કરીને સમાજમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ માટે માતાજીનો આશીર્વાદ માગવામાં આવે છે.
આપણા સમાજે હંમેશાં પરંપરા, એકતા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. આવી ઉજવણીઓથી નવા પેઢીમાં પણ મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધા જળવાઈ રહે છે. સમાજના યુવાનોમાં ઊર્જા, બહેનોમાં ભક્તિ અને વડીલોમાં આશીર્વાદનો સમન્વય આ નવરાત્રી મહોત્સવમાં જોવા મળ્યો.
વિશેષ આકર્ષણ
• પાંચમા નોરતે મંચ પર જીવંત સંગીત સાથે પરંપરાગત ગરબા-રાસડાનું આયોજન થયું.
• યુવાનોના જુસ્સા અને યુવતીઓના પરંપરાગત નૃત્યે સૌનું મન મોહી લીધું.
• બાળકો, મહિલાઓ અને વૃદ્ધો – સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
• કાર્યક્રમના અંતે વિશાળ આરતીનું આયોજન થયું, જેમાં હજારો ફ્લેશ લાઈટ પ્રગટાવીને માતાજી પ્રત્યેની અખંડ ભક્તિ વ્યક્ત કરવામાં આવી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના રાજકીય મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીશ્રીઓનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા અને સંસ્થાના હોદ્દેદારોએ મહેર સમાજની પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું




No Comments